ગલ્લાબાપુ


એના સાચા નામની લગભગ કોઈને ખબર નહિ હોય, કદાચ એ એમનું સાચું નામ પણ હોય! આખા ગામ માં તે ગલ્લાબાપુ નાં નામે ઓળખાતા. બેથી દડીનું ભરાવદાર શરીર, ગોળ મટોળ ચહેરો, માથા ઉપર આગળ થી થોડીક ટાલ, ટૂંકી ગરદન અને બેઠા કાન, પોષાકમાં કાયમ ઝભ્ભો લેંઘો પરમેનન્ટ. એ પણ એકદમ સફેદ અને ઇસ્ત્રી ટાઇટ! પંચાવન આસપાસની ઉમર ખરી પણ એટલી દેખાય નહિ. સ્વભાવ એવો કે એના ચહેરા પર ક્યારેય ઉપાધી, ચિંતા કે ટેન્શન જોવા નો મળે! કાયમ હસતો સ્વભાવ એ હસતા રહે અને બીજાને પણ હસાવતા રાહે. આ કારણથીજ ગામના આઠ વરસના બાળકથી માંડીને એંશી વરસના વૃધ્દ્ધ સુધીના તમામ લોકો તેને સારી રીતે ઓળખે.
ઓટલા પરિષદમાં એની સુવાણ્યની ટોળકીના કાયમી સભ્યો એટલે બુધો, જુજર, ગેલી, ડેવલો, દલ્લો ને વિજય મહેતાજી. રોજ રાત્રે મંદિર માં ખાડિયાપા શેરી ની સામે ગોપાલની દુકાનના ઓટલા પર ધૂની ધખાવે!
એક મોડી રાત્રે આવીજ સુવાણ્યનો દોર ચાલી રહ્યો હતો ત્યાં અચાનક ગલ્લા બાપુએ સિગારેટનો લાંબો કાશ મારીને સિરીયસ થવાના ભાવ સાથે બુધાને સંબોધીને બોલ્યા, “હે બુધ, તને કેવા હનુમાન દાદા ગમે?” “કેવા એટલે?” બુધાએ સામો પ્રશ્ન કર્યો. “કેવાનો મતલબ એ કે તને હાથમાં ગદા વાળા હનુમાનજી ગમે કે પછી ચીરીને રામ-સીતા દેખાડતા હોય એવા ગમે કે પછી હાથમાં પર્વત લઈને આકાશમાં ઉડતા હોય કે પછી… બોલ કેવા ગમે?” બુધો માથું ખંજવાળવા લાગ્યો. આ તે કેઓ સવાલ? હનુમાનજીમાં તે વળી ગમવા ન ગમવાનું શું હોય? બુધને જવાબ દેતા ખાસ્સી વાર લાગી એટલે ગલ્લા બાપુએ આજ સવાલ વાર ફરથી દરેક જણને પૂછ્યો. પણ કોઈ સચોટ જવાબ આપી શક્યું નહિ. દરેકને મનમાં તો હતુજ કે આ સવાલ પાછળ પણ ગલ્લા બાપુ ની કોમેડી કરવાની વૃતીજ હશે. અચાનકજ સવાલ નો જવાબ દેવાને બદલે વિજયે ગલ્લાબપુને સામો એજ સવાલ કર્યો, “તમને કેવા હનુમાનજી ગમે તે કહો.” “મને તો એકેય હાથમાં કાઈ નો હોય અને એકદમ નિરાંતે બેઠા હોય એવા હનુમાનજી ગમે” “એવાજ કેમ?” વિજયે વધુ સવાલ કર્યો. “કેમકે એવાજ હનુમાનદાદા આપણું કામ કરે કે માનતા પૂરી કરે! હાથમાં ગદા કે કરતાલ હોય કે બંને હાથ થી છાતી ચીરીને રામ-સીતા દેખાડતા હોય કે પર્વત લઇને આકાશ માં ઉડતા હોય એવા હનુમાનજી આપણું શું કામ કરે? ફોટા માં સાવ ફ્રી બેઠા હોય તેવા હનુંમાનજીની જ પૂજા કરાય. હનુમાનજી પોતેજ કામમાં હોય એ આપણું કામ ક્યાંથી કરે? ગલ્લાબપુનો આવો તર્ક વાળો જવાબ સાંભળીને સૌ ખડખડાટ હસવા લાગ્યા.
એક વખત ગલ્લા બાપુને જીણો જીણો તાવ આવતો હતો. તે તુરત બચુબાઇ ડોક્ટર ના દવાખાને પહોચ્યા. દવાવાળાને ત્યાં બહાર બાકડા ઉપર બેઠા હતા. એવામાં બીજા દર્દીને તાપસ્તા જ બચુભાઈ નું ધ્યાન ગલ્લાબાપુ ઉપર પડ્યું. તેમણે તેના કમ્પાઉન્ડરને ગલ્લા બાપુને બોલાવી લેવાનું કહ્યું.
ગલ્લા બાપુ અંદર કેબીનમાં દાખલ થયા ત્યાજ વયોવૃધ ડોકટરે ગલ્લાબપુંને પૂછ્યું “કેમ છે ગલ્લા? કેમ તબિયત બરાબર નથી?” ગલ્લાબપું બચુભાઈ સામે જોઇને બોલ્યા, “સાહેબ, કાલ રાતથી શરીરમાં બરાબર નથી સુસ્તી જેવું લાગ્યા કરે છે” આટલું સાંભળતાજ ડોક્ટર ગલ્લાબપુનો હાથ પકડીને સહેજ ધક્કો મારતા બોલ્યા” ગલ્લા, તને કોઈ દિવસ તાવ આવતો હશે? તું તો ખોટો માણસ છો, ઉલટાનો તાવને તું આવ્યો હોઈશ!” આમ કહેતા બચુભાઈ ખડખડાટ હસી પડ્યા સાથે ગલ્લાબાપુ પણ હસી પડ્યા. ને પછી તો સાચેજ બચુભાઈએ ગલ્લાબપુને કોઈજ દવા આપી નહિને ગલ્લા બાપુ પણ એમજ સજા થઇ ગયા! ગલ્લાબપુએ આ વાત રાત્રે સુવાણ્ય મંડળીમાં કરી ત્યારે બધા ખડખડાટ હસી પડેલા.
ગામની મેઈન બજારમાં મણીભાઈ કંદોઈની દુકાન. આ મણીભાઈ ગલ્લાબપુથી સાવ વિરુદ્ધ સ્વભાવના. ભાગ્યેજ કોઈએ તેમને હસતા જોયા હશે! કાયમી ગંભીર મુખમુદ્રા ધારણ કરેલી હોય. એક દિવસ નાથુભાઈ અને ભીખાભાઈ ફ્રુટ વાળા એ શરત મારી કે આ મણીભાઈને હસાવવા. બસ પછીતો આ બંને જણા મણીભાઈની દુકાને ગયાને મણીભાઈ ને બે-ચાર રમુજી ટુચકા સંભળાવ્યા. પણ મણીભાઈ ને હસાવી શક્યા નહિ. ખુબ મહેનત કરી પણ વ્યર્થ. છેવટે મણીભાઈને ગદગદીયા કર્યા છતાં તેઓ હસ્યા નહિને ગલ્લાબાપુ આ મણીભાઈની દુકાને જાયને થોડી અમથી વાતચીત કરે ત્યારે મણીભાઈ ખડખડાટ હસી પડતા.
આમ ગલ્લાબાપુ જ્યા જાય ત્યા ઓટોમેટીકજ હાસ્યનો માહોલ ઉભો થઇ જાય. પછી સરકારી ઓફીસ હોય કે ધાર્મિક મંદિર હોય કે સ્મશાન ઘાટ હોય! વળી બીજા કોઈ ગલ્લાબપુની મશ્કરી કરીને તેમની મજાક ઉડાવે તોપણ ગલ્લાબપું હસવામાં જરાય લોભ નો કરે!
અમાસની રાજાએ બધા સાત હનીમાન (ખંભાળા) જતા હતા. કાચા ઉબડ ખાબડ રસ્તામાં થોડો ઢાળ આવ્યોને રીક્ષા કોઈ રીતે આ ઢાળ ચડી શકી નહિ. ગેર બદલાવીને ફૂલ લીવર દીધું તો પણ ઢાળ ચડી નહિ એટલે રીક્ષામાં બેથેલોમાંથી દેવલાએ રીક્ષા વાળા ને કહ્યું કે “નીચે ઉતરીને ધક્કો મારીએ ?” જવાબ માં રીક્ષા વાળો બોલ્યો, “બધાને નીચે ઉતરવાની જરૂર નથી એક ખાલી ગલ્લાબાપુને નીચે ઉતારો એટલે અડધો વજન ઘટી જશે! ને પછી ધક્કો મારવાની જરૂર નહિ રહે! આ સાંભળીને બધાની સાથે ગલ્લાબાપુ પણ ખડખડાટ હસી પડ્યા.
એક વહેલી સવારે ખંઢેરપા શેરીમાં વાત ઉડીકે ગલ્લાબાપુને હાર્ટએટેક આવી ગયો છે. પછી તો ધીરે ધીરે આ વાત આખ્ખાય ગામ માં ફેલાણી. ગામમાં કોઈજ આ વાત માનવા તૈયાર ન થયા. એની સુવાણ્ય મંડળી ના સભ્યો તો માનેજ શેના? હજુતો ગઈ રાત્રે મોડે સુધી ગલ્લાબપું આ બધાની સાથે ગપ્પા મારતા હતા ને સવારેજ આવી વાત! અમુક સભ્યોને તો થયુકે નક્કી આમાં ખુદ ગલ્લાબપુનીજ કોમેડી હશે! છતાં પણ બધા ખાતરી કરવા ગલ્લાબપુને ઘેર ગયા.ગેલી અને દેવલાએતો નાક્કીજ કરી નાખ્યું કે આ બાબતનો ગલ્લાબાપુ ને ઠપકો દેવો! કાઈ આવી કોમેડી કરાતી હશે? પણ ઘરે ગયા પછી બધાજ દિગ્મૂઢ થઇ ગયા. ખરેખર ગલ્લાબાપુ નો નશ્વર દેહ એક રૂમમાં પડ્યો હતો ને સમગ્ર વાતાવરણ રોકકળથી ગમગીન થઇ ગયેલું. ગલ્લાબાપુની આ છેલ્લી કોમેડી જાણે આખા ગામ માટે ટ્રેજેડી બની ગઈ ને ગલ્લાબાપુની વિદાયને કારણે બબ્બે મહિલાઓએ સેંથાનો સિંદુર ભૂંસી નાખી ગલ્લાબાપુની નનામી પાસે બંગડીઓ ફોડેલી! ગામમાં ઘણા ઓછા લોકો જાણતા હતા કે ગલ્લાબાપુને બે પત્ની હતી!